• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

દિલ્હી કાર બ્લાસ્ટનું પગેરું પુલવામામાં નીકળ્યું

તપાસ NIAને હવાલે : ધડાકાનાં 11 કલાક પહેલા ફરીદાબાદથી નીકળી હતી કાર

ફરીદાબાદમાંથી પકડાયેલા આતંકી નેટવર્ક સાથે કનેક્શન: હુમલો કરનાર ડૉ. ઉમર હોવાની આશંકા

નવી દિલ્હી, તા.11: દેશની રાજધાની દિલ્હીને લાલ કિલ્લા નજીક જ સોમવારની મોડી સાંજે રક્તરંજિત કરતાં રહસ્યમય કાર વિસ્ફોટનો મૃત્યુઆંક વધીને 12 થઈ ગયો છે. પોલીસે આમાં યુએપીએ હેઠળ કેસ નોંધી લીધો છે અને રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિતની અનેક રાષ્ટ્રીય એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. ગૃહમંત્રાલયે આ બ્લાસ્ટની તપાસ એનઆઈએને સોંપી દીધી છે. આ દરમિયાન ધડાકામાં વપરાયેલી કારનાં સીસીટીવી ફૂટેજ સહિતનાં પગેરું મળી આવ્યા છે. આ ધડાકો હુંડઈની આઈ-20 કારમાં થયો હતો અને તેનું પુલવામા કનેક્શન પણ બહાર આવ્યું છે. વિસ્ફોટ એમોનિયમ નાઈટ્રેટ, ઓઈલ અને ડીટોનેટરથી કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ આપવામાં આવી રહ્યું છે.

પ્રાથમિક તપાસનાં આધારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ સંભવિત આતંકી હુમલો હતો અને તેની પાછળ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનનો હાથ હોઈ શકે છે. ધડાકો જે કારમાં થયો હતો તેનાં નંબર એચઆર26-સીઈ7674 હતાં. આ મોહમ્મદ સલમાન એસ/ઓ મોહમ્મદ શાહિદનાં નામે નોંધાયેલી હતી. મોટરકારની આરસી બૂક અનુસાર વર્ષ 2014માં તેનું રજીસ્ટ્રેશન થયેલું. જો કે પોલીસની પૂછપરછમાં સલમાને કહ્યું હતું કે, તેણે આશરે દોઢેક વર્ષ પહેલા આ કાર વેંચી નાખી હતી. તેણે આ કાર ઓખલાનાં દેવેન્દ્ર નામક શખસને વેચેલી અને દેવેન્દ્ર પછી આ કાર વેચાતી-વેચાતી આખરે જમ્મુ-કાશ્મીરનાં પુલવામાનાં રહેવાસી તારિકે ગત 24 ફેબ્રુઆરીનાં રોજ લીધી હતી. તારિકની ધરપકડ કરી લેવામાં આવી છે.

દિલ્હી પોલીસે લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કરનારી કાર ઘટનાસ્થળે પહોંચી તે પહેલાનાં 11 કલાકનાં સગડ શોધી કાઢ્યા છે. આ કાર ધડાકાનાં 11 કલાક પહેલા ફરીદાબાદથી લાલ કિલ્લા સુધી જવા માટે નીકળી હતી. સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું છે કે, સોમવારે સવારે લગભગ 7.30 કલાકે ફરીદાબાદની એશિયન હોસ્પિટલ બહાર જવા મળી હતી. સવારે 8.13 કલાકે બદરપુર ટોલ નાકુ પસાર કરીને કાર દિલ્હીમાં દાખલ થઈ હતી. સવારે 8.20 કલાકે ઓખલા ઔદ્યોગિક વિસ્તાર પાસે એક પેટ્રોલ પંપ નજીક પણ આ કાર જોવા મળી હતી. કાર બપોરે 3.19 કલાકે લાલ કિલ્લા પરિસર નજીક સુનહરી મસ્જિદ પાર્કિંગ એરિયામાં આવી હતી અને ત્યાં લગભગ ત્રણેક કલાક ઉભી રહી હતી. ત્યાંથી સાંજે 6.22 વાગ્યે નીકળીને તે લાલ કિલ્લા ભણી દોડી ગઈ હતી. આશરે 24 મિનિટ પછી રસ્તામાં રેડ લાઈટ સિગ્નલ ઓન થયું ત્યારે ધીમી ગતિએ આગળ વધતી રહેલી આ કારમાં પ્રચંડ ધડાકો થઈ ગયો હતો.

કારનાં સીસીટીવી ફૂટેજમાં એક સંદિગ્ધ દેખાઈ રહ્યો છે અને માનવામાં આવે છે કે, તે શખસ ડૉ.ઉમર છે. પુલવામાનાં તારિકે કાર ખરીદીને ડૉ.ઉમરને આપી હોવાની શંકા છે. કાર લાલ કિલ્લા પાસે જ્યારે મસ્જિદનાં પાર્કિંગમાં ઉભી હતી ત્યારે પણ ઉમર તેમાં ત્રણ કલાક સુધી બેઠો રહ્યો હતો અને કારમાંથી બહાર નીકળ્યો ન હતો.

પ્રાથમિક તપાસ પછી પોલીસ આ વિસ્ફોટ ફિદાયીન આતંકવાદી હુમલો હોવાની સંભાવના વ્યક્ત કરી રહી છે. પોલીસનાં કહેવા અનુસાર ફરીદાબાદનાં હાઈપ્રોફાઈલ આતંકવાદી નેટવર્કનો ભાંડો ફૂટયા બાદ આ આત્મઘાતી હુમલાનો કારસો ઘડાયો હોઈ શકે છે. પોલીસ અને એનઆઈએ સહિતની તપાસ ટીમો હવે હુમલા પહેલા અને પછી આતંકવાદીઓ વચ્ચે કરવામાં આવેલા સંચાર-સંપર્કની તપાસ કરી રહી છે. હુમલાનાં પહેલા 11 કલાકની મુસાફરી દરમિયાન હુમલાખોરે કોની-કોની સાથે સંપર્ક કર્યો હતો તેની પણ તપાસ ચાલી રહી છે.

આ વિસ્ફોટ પહેલા તપાસ એજન્સીઓએ હરિયાણાનાં ફરીદાબાદમાંથી એક વ્હાઈટ કોલર આતંકવાદી નેટવર્કનો ભાંડો ફોડયો હતો. તેનાં એક દિવસ અગાઉ ગુજરાતમાંથી પણ ત્રણ સંદિગ્ધ આતંકવાદી પકડાયા હતાં. ફરીદાબાદમાંથી પકડાયેલા સંદિગ્ધનાં ઠેકાણાંમાંથી 2910 કિલો એમોનિયમ નાઈટ્રેટ ઝડપાયું હતું. તે પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે યુપીનાં સહારનપુરમાંથી એક ડૉક્ટર આદિલની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં ફરીદાબાદનાં ડૉ.મુઝમ્મિલ શકીલ વિશે બાતમી મળી હતી અને તેને ત્યાંથી જ ભારે પ્રમાણમાં વિસ્ફોટકો પકડાયા હતાં. તપાસ એજન્સીઓને દિલ્હી બ્લાસ્ટમાં પણ એમોનિયમ નાઈટ્રેટ જ વપરાયું હોવાની આશંકા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક