• શનિવાર, 24 મે, 2025

ચિનાબનું પાણી પાક.માં વહી જતું રોકવા માંડયું ભારતે

નવીદિલ્હી, તા.26: પહલગામ હુમલા પછી ભારતમાં ફાટી નીકળેલા આક્રોશનાં જ્વાળામુખી વચ્ચે પાકિસ્તાન અને તેનાં પાળેલા આતંકવાદીઓ સામે ભારતીય સેના દ્વારા કોઈ મોટી કાર્યવાહી શરૂ થવાની સંભાવનાથી ભયભીત પાકિસ્તાન છેક ઉંડેથી ખળભળી ગયું છે. જેમાં તેને હવે શું વલણ અખત્યાર કરવું તેની ગતાગમ પણ રહી નથી. એકબાજુ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ પહલગામ આતંકી કૃત્યની નિષ્પક્ષ તપાસ માટે તૈયારી દેખાડી રહ્યાં છે અને બીજીબાજુ સિંધુ સંધિ તોડયા પછી ભારત પાણી રોકે તો તેને યુદ્ધ ગણીને જવાબી કાર્યવાહીની ગીદડભક્તિ પણ આપે છે. જો કે, પાકિસ્તાનની યુદ્ધની ધમકીઓ છતાં પણ ભારતે સિંધુ જળ સંધિ તોડયા પછી ચિનાબ નદીનું પાણી પાકિસ્તાનમાં વહી જતું રોકી લીધું છે. જેની અસરો પાક.નાં પંજાબ પ્રાંતમાં વર્તાવા પણ લાગી છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટિલે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં એક ટીપું પાણી પણ જાય નહીં તે સુનિશ્ચિત કરવાની રણનીતિ ઉપર સરકાર કામ કરી રહી છે.

શરીફે ભારત તરફથી આક્રમક સૈન્ય કાર્યવાહીની આશંકાએ ધમકીભર્યા સૂરમાં કહ્યું છે કે, પાકિસ્તાન પોતાની સંપ્રભુતાની રક્ષા કરવા તૈયાર છે. પહલગામ હુમલાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ માટે પાકિસ્તાન તૈયાર છે પણ પાક. ઉપર લગાડવામાં આવતાં આરોપ નિરાધાર છે. જો જરૂર પડશે તો સ્વરક્ષા માટે કોઈ જ કસર છોડવામાં નહીં આવે. આટલેથી નહીં અટકતા તેમણે ઉમેર્યુ હતું કે, જો ભારત તરફથી પાણી વાળવાનો કોઈપણ પ્રયાસ થશે તો પૂરી તાકાતથી જવાબ આપવામાં આવશે. પાક.ની મુસ્તૈદ સેના કોઈપણ દુ:સાહસ સામે લડવા માટે તૈયાર છે.

સિંધુ જળ સંધિ તોડયા પછી ભારતે હવે પાકિસ્તાનની તમામ ધમકીઓને અવગણીને ચિનાબ નદી ઉપર બનેલા બગલિહાર જળવિદ્યુત મથક મારફત પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવા

માંડયો છે.            જેને પગલે પાક.નાં સિયાલકોટ, પંજાબમાં પાણીનું જળસ્તર ઘટી ગયું છે. ઉલ્લેખનીય છે કે, ચિનાબનું પાણી પાકિસ્તાનની કૃષિ અને પીવાનાં પાણીનાં પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. સી.આર.પાટિલે પણ પુનરોચ્ચાર કર્યો છે કે, એકપણ બૂંદ પાણી પાક.માં વહેતું રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

પાણીનાં મુદ્દે પાકિસ્તાનને પગ તળે રેલો આવી ગયો છે ત્યારે પાક.નાં તમામ નેતાઓ ભાન ભૂલીને બકવાસ કરવા માંડયા છે. જેમાં પીપીપીનાં અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ તો એવું ભડકાઉ નિવેદન કર્યુ હતું કે, કાં તો સિંધુમાં અમારું પાણી વહેશે કાં પછી એ લોકોનું લોહી. જેની સામે તીખી પ્રતિક્રિયા આપતાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, તેમને કહેવાની જરૂર છે કે, જ્યાં છલાંગ મારવી હોય ત્યાં મારી લેવી કારણ કે હવે તો છલાંગ લગાડવા માટે પાણી તો બચવાનું નથી. આવી કોઈ નિવેદનબાજીને મહત્વ આપવાની જરૂર નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક