• સોમવાર, 20 માર્ચ, 2023

Breaking News

ખાલિસ્તાની અમૃતપાલ સામે એકશન: પંજાબમાં એલર્ટ

3 કેસમાં કાર્યવાહી : સમર્થકોના ચક્કાજામ, રેપિડ એકશન ફોર્સ સજજ

અમૃતસર, તા.18: તાજેતરમાં પંજાબ પોલીસને પડકાર ફેંકી સાગરીતને છોડાવી જનાર ખાલિસ્તાન સમર્થક અને ભિંડરાંવાલે સાથે જેની તુલના કરાય છે તે અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબ પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અમૃતપાલનો દોઢ કલાક પીછો કર્યો હતો જેમાં અમૃતપાલ નાસી છૂટયો હતો. પોલીસ દ્વારા તેના 78 જેટલા સાગરીતોને પકડવામાં આવ્યા છે. અમૃતસરમાં 19-ર0 માર્ચે જી-ર0 દેશોનું સંમેલન યોજાવાનું છે તે પહેલા સમગ્ર રાજયમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અનેક શહેરોમાં કલમ-144 લાગૂ કરાઈ છે. જાલંધરના મૈહતપુર વિસ્તારમાં શનિવારે પોલીસ ત્રાટકી ત્યારે અમૃતપાલ કારમાં નાસી છૂટયા બાદ દોઢ કલાક તેનો પીછો કરવામાં આવ્યો હતો. જોકે, તે પકડમાં આવ્યો ન હતો. કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવવા સમગ્ર રાજયમાં રવિવાર સુધી સુધી ઇન્ટરનેટ, એસએમએસ અને ડોંગલ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. પોલીસે અમૃતપાલની ધરપકડ વિશે સત્તાવાર કંઈ જાહેર કર્યુ નથી. બીજીતરફ અમૃતપાલ સામેની કાર્યવાહીના વિરોધમાં મોહાલી, ચંદીગઢ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો શરુ થયા છે. હાથમાં ખુલ્લી તલવાર અને લાકડી સાથે તેના સમર્થકો રસ્તા પર ઉતર્યા, મોહાલીમાં નિહંગોએ ચક્કાજામ કર્યો હતો. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. ભારેલા અગ્નિ વચ્ચે રેપિડ એકશન ફોર્સ સજ્જ રાખવામાં આવી છે. બુલેટપ્રુફ ટ્રેકટરો તૈનાત કરાયા છે.

શનિવાર સવારથી પંજાબ પોલીસ ફોર્સની તૈનાતીથી પરિસ્થિતિ પારખી અમૃતપાલ કારમાં નાસી છૂટયો હતો. તાજેતરમાં અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલા કેસમાં પોલીસ તેને પકડવા આવી હતી. બાદમાં ફિલ્મી અંદાજમાં પકડાપકડીનો ખેલ શરૂ થયો. અમૃતપાલની કાર આગળ અને પાછળ પોલીસના આશરે 100 જેટલાં વાહનોનો કાફલો હતો. અમૃતપાલ કારમાં નાસી રહયો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. શનિવારે જાલંધર-મોગા નેશનલ હાઇ વે પર શાહકોટ-મલસિયાં ખાતે બઠિંડા જિલ્લાના રામપુરા ફૂલમાં અમૃતપાલે એક કાર્યક્રમ યોજ્યો  હતો. સ્થળ પર તેના સમર્થકો એકઠા થવા લાગ્યા હતા. દરમિયાન પોલીસે તેને પકડવાનું ઓપરેશન ગૂપચૂપ હાથ ધર્યું હતું. આસપાસના 7 જિલ્લાઓમાંથી પોલીસ દળ બોલાવી લેવાયા હતા. નાકાબંધી કરી યોજનાબદ્ધ રીતે તેને પકડવાની કવાયત હતી. એવુ કહેવાય છે કે જી-ર0ને કારણે અગાઉ અમૃતપાલના શક્તિ પ્રદર્શન વખતે કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ વખતે કેન્દ્રિય ગૃહમંત્રાલય સાથે સંપર્ક સાધીને તેની ધરપકડ માટે ઓપરેશન શરૂ કરાયું હતું.

શનિવારે બપોરે 1 કલાક આસપાસ પોલીસે અમૃતપાલના જગામ જલ્લૂપુર ખેડા આસપાસ ઘેરો કર્યો હતો. અમૃતપાલના કાફલાને આંતરવામાં આવ્યો અને તેમાં સવાર સમર્થકોને દબોચી લેવાયા હતા. અમૃતપાલ ત્રીજા નંબરની મર્સિડીઝ કારમાં સવાર હતો. પોલીસને જોઈ ચાલકે કારને અન્ય રસ્તે ભગાવી હતી. વારિસ દે પંજાબ સંગઠનનો પ્રમુખ અમૃતપાલ ખાલિસ્તાનનું જાહેરમાં સમર્થન કરી ચૂક્યો છે. તેના વિરુદ્ધ હેટ સ્પીચ સહિત કુલ 3 કેસ નોંધવામાં આવ્યા છે. પોતાના એક નજીકના સાગરિતની ધરપકડ બાદ તેણે પોતાના હજારો સમર્થકો સાથે પોલીસ સ્ટેશન ઉપર જ હલ્લાબોલ કર્યો હતો. પોલીસ શક્તિ પ્રદર્શન સામે જે તે વખતે ઝૂકી અને આરોપીને છોડી મૂક્યો હતો. ગૃહમંત્રી શાહને પણ તેણે ધમકી આપી હતી.