• શનિવાર, 24 મે, 2025

આજે કોહલી પાસે પણ રાહુલ જેવું સેલિબ્રેશન કરવાની તક

અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી સામે જીત માટે આરસીબી ચાહકો આતુર : આજે સાંજે મુકાબલો

નવી દિલ્હી, તા. 26 : કેએલ રાહુલે આરસીબી સામે તેના જ હોમગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ‘આ મારું ગ્રાઉન્ડ છે’ તેવું બતાવતું સેલિબ્રેશન કર્યું હતું. રાહુલના આ સેલિબ્રેશનથી આરસીબી અને કોહલીના ચાહકોને દુ:ખ થયું હતું. આ જ કારણે હવે જ્યારે દિલ્હી કેપિટલ્સ સામે આરસીબી દિલ્હીમાં મેચ રમવા ઉતરશે તો કોહલી પણ આવું જ કોઈ સેલિબ્રેશન કરે તેવી લોકોને આશા છે. કેએલ રાહુલ કર્ણાટકનો છે અને ચિન્નાસ્વામી તેનું હોમગ્રાઉન્ડ છે. જ્યારે કોહલી દિલ્હીથી છે અને અરુણ જેટલી સ્ટેડિયમ હોમગ્રાઉન્ડ છે. આરસીબી અને દિલ્હી વચ્ચેનો મુકાબલો રવિવારે સાંજે 7.30 વાગ્યે થવાનો છે.

આઈપીએલમાં સ્થિતિ ઝડપથી બદલતી હોય છે પણ વર્તમાન ફોર્મને ધ્યાને રાખીને દિલ્હી અને આરસીબી બન્ને પ્લે ઓફમાં પહોંચે તેવી સંભાવના છે. નવ મેચમાં પાંચ અર્ધસદી કરનારા કોહલીનું દિલ્હી ઘરેલુ મેદાન છે અને વિરોધી ટીમમાં હોવા છતાં પણ કોહલીને ભરપુર સમર્થનની સંભાવના છે. કોહલી સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે અને ફોર્મમાં છે. બીજી તરફ રાહુલ પણ સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. તેણે દિલ્હી માટે સૌથી વધારે રન કર્યા છે.

ઓસ્ટ્રેલિયાના બે ઝડપી બોલર હેઝલવુડ અને સ્ટાર્ક પહેલા જ બતાવી ચુક્યા છે કે તે કેટલા મહત્ત્વના છે. હેઝલવુડ 16 વિકેટ સાથે ટૂર્નામેન્ટમાં સર્વાધિક વિકેટ લેનારો બોલર છે. સ્ટાર્ક પણ પ્રભાવ છોડવામાં પાછળ રહ્યો નથી. સ્પિનની વાત કરવામાં આવે તો દિલ્હીના કુલદીપ યાદવે ગુગલીથી બેટ્સમેનોને પરેશાન કર્યા છે. સુયશે પણ આરસીબી તરફથી સારુ પ્રદર્શન કર્યું છે. 

દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે આગળ વધીને નેતૃત્વ કર્યું છે. ઈજાના કારણે અક્ષર વધુ બોલિંગ કરી શક્યો નથી પણ ગત મેચમાં પોતાની ઓવરો પુરી કરી હતી. જે એક સકારાત્મક સંદેશ છે. ક્રુણાલ પંડયા પણ આરસીબી માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે. તે નવ મેચમાં 12 વિકેટ લઈ ચૂક્યો છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક