• રવિવાર, 20 જુલાઈ, 2025

એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન પરત હૈદરાબાદ ફર્યું

 થાઈલેન્ડ જતી ઊડાનમાં યાંત્રિક ક્ષતિ સર્જાતાં પ્રવાસીઓના જીવ અદ્ધર

હૈદરાબાદ, તા.19 : થાઈલેન્ડના ફુકેટ માટે પ્રવાસીઓને લઈ જઈ રહેલા એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનને ઉડાન ભર્યાના માત્ર 16 મિનિટની અંદર જ પરત હૈદરાબાદ ઉતરાણ કરાવવામાં આવ્યું હતું. વિમાન બોઈંગ 737 મેક્સ-8 આઈએક્સ100 સવારે 8.30 કલાકે હૈદરાબાદના રાજીવ ગાંધી અંતરરાષ્ટ્રીય હવાઈમથકેથી રવાના થયું હતું.

વિમાનને સવારે 11.45 વાગ્યે થાઈલેન્ડના ફુકેટમાં ઉતરાણ કરવાનું હતું પરંતુ ઉડાન દરમ્યાન યાંત્રિક ક્ષતિ ધ્યાને આવતાં પાયલોટે વિમાનને પરત હૈદરાબાદ હવાઈમથકે ઊતરાણ કરાવ્યું હતું.

યાંત્રિક ક્ષતિ કયા પ્રકારની હતી તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

ઈન્ડિયા એક્સપ્રેસના એક પ્રવક્તાએ યાત્રીઓને પડેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. બાદમાં પ્રવાસીઓને બીજા વિમાનમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 16 જુલાઈના પણ દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોની ઊડાનને રાત્રે 9.53 કલાકે મુંબઈ હવાઈમથકે તાકીદની સ્થિતિમાં ઊતરાણ કરાવવું પડયું હતું. સૂત્રોને ટાંકીને એજન્સીના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વિમાનનું એન્જિન હવામાં જ ફેલ થઈ ગયું હતું. વિમાનમાં 191 લોકો હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક