યુનૂસ સરકાર છેલ્લી પાટલીએ : 1971 યુદ્ધનો ઉલ્લેખ, સેકયુલર શબ્દ હટાવ્યો
ઢાકા તા.રર : મોહમ્મદ યુનૂસના
નેતૃત્વવાળી બાંગ્લાદેશની વચગાળાની સરકારે શાળા અને કોલેજોની પ્રતિજ્ઞામાંથી 1971ના
યુદ્ધનો ઉલ્લેખ હટાવી નાંખ્યો છે સાથે સેકયુલર શબ્દને પણ ગાયબ કર્યો છે.
બાંગ્લાદેશમાં શાળા અને કોલેજોમાં
રોજ સવારે યોજાતી પ્રાર્થના સભામાં પ્રતિજ્ઞા લેવાડાવાતી હતી જેમાં 1971નો મુકિત સંગ્રામ અને રાષ્ટ્રપિતા બંગબંધુ
શેખ મુજીબુર રહમાનનો ઉલ્લેખ કરાતો હતો જે દૂર કરાયો છે. સાથે સેકયુલર એટલે કે ધર્મનિરપેક્ષ
આદર્શો સાથે જોડાયેલા શબ્દ પણ નવી પ્રતિજ્ઞામાં જોવા મળતાં નથી.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના
આ નિર્ણયને બુધવારે શિક્ષણ મંત્રાલયના વિભાગે જાહેર કર્યો હતો. પ્રતિજ્ઞામાં કરાયેલા
ફેરફારનો ઉલ્લેખ કરી નવી પ્રતિજ્ઞાને કડકાઈથી લાગૂ કરવા નિર્દેશ જારી કરાયો છે. બાંગ્લાદેશી
મીડિયા અનુસાર નવી પ્રતિજ્ઞા આ મુજબ છે : હું લોકોની સેવા માટે સ્વયંને સમર્પિત કરીશ,
દેશ પ્રત્યે વફાદાર રહીશ, તેનાથી એકતા અને
અખંડિતતાની રક્ષા કરીશ, અન્યાય અને ભ્રષ્ટાચાર નહીં કરુ, ન તેને સહન કરુ, હે સર્વશકિતમાન
સૃષ્ટિકર્તા, મને શકિત આપો જેથી હું બાંગ્લાદેશની સેવા કરી શકુ અને તેને એક આદર્શ,
સમાનતા આધારિત અને સશકત રાષ્ટ્ર બનાવી શકું. આમીન. (બાંગ્લા ભાષાનો હિન્દી અનુવાદ)