પાક. સેના પ્રમુખે ફરી કહ્યું, હિન્દુ-મુસ્લિમ અલગ : સંઘપ્રમુખે કહ્યું, હિન્દુ કોઈને ધર્મ પૂછીને મારતા નથી
નવી
દિલ્હી, દતા.26: પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની સેના પ્રમુખે જનરલ આસિમ મુનીરે
ફરી એકવાર ઝેર ઓક્યું છે. તેમણે ટૂ નેશન થિયરીનો રાગ આલાપતા કહ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ
અલગ છે. અનેક બલિદાનો બાદ પાક. મળ્યું છે અને તેની રક્ષા કેમ કરવી તે અમે જાણીએ છીએ.
પાક. સેના પ્રમુખનાં આવા ભડકામણા નિવેદન સામે સરકાર તરફથી કોઈ અધિકૃત પ્રતિક્રિયા હજી
સુધી આવી નથી. બીજીબાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું
કે, અહિંસા અમારો ધર્મ છે અને ગુંડાઓને સબક શીખવવો પણ અમારો ધર્મ છે. અમે પાડોશીઓનું
અપમાન કે નુકસાન નથી કરતાં પણ કોઈ બૂરાઈ ઉપર ઉતરી આવે તો પછી બીજો વિકલ્પ શું હોય?
રાજાનું કર્તવ્ય પ્રથાની રક્ષા છે અને રાજાએ પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ.
પાક.સેના
પ્રમુખ મુનીરે હજી એક અઠવાડિયા અગાઉ જ કાશ્મીરને પાકિસ્તાનનાં ગણાની નસ ગણાવીને ટૂ
નેશન થિયરીની વાત કરેલી. જેની સામે ભારતે જડબાતોડ પ્રતિક્રિયા પણ આપેલી. હવે મુનીરે
ખૈબર પખ્તૂન્ખ્વા પ્રાંતમાં કાકુલ વિસ્તારમાં પાક. લશ્કરી એકેડમીમાં સંબોધન કરતાં ફરીથી
આવું જ ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું હતું કે, બે દેશનો વિચાર એવી માન્યતા આધારિત જ
હતી કે, હિન્દુ અને મુસ્લિમ એક નથી બલ્કે અલગ રાષ્ટ્ર છે. અનેક બલિદાનો પછી આ વિચારનાં
આધારે મળેલા દેશની રક્ષા માટે કંઈપણ કરવાની તૈયારી તેમણે દેખાડી હતી.
એક
તરફથી પાક.માંથી આવી ભડકામણી કરવામાં આવી રહી છે તો બીજીબાજુ ભારતમાં પણ પહલગામ હુમલાનો
રોષ શમી રહ્યો નથી. હવે મોહન ભાગવતે કહ્યું છે કે, અહિંસા આપણો સ્વભાવ અને મૂલ્ય છે
પણ કેટલાક લોકો સુધરશે નહીં. તે દુનિયાને પરેશાન કરતા રહેશે. આ લડાઈ હવે ધર્મ અને અધર્મ
વચ્ચે છે. હિન્દુ ક્યારેય ધર્મ પૂછીને મારવાનાં કૃત્ય આચરતા નથી. રાવણને આપણે અગાઉ
પણ સુધરવાનાં મોકા આપેલા પણ જ્યારે તેણે નહીં બદલવાનું નક્કી જ કરી લીધું પછી તેનો
અંત આવ્યો. હવે આપણે બૂરાઈને ખતમ કરવા માટે તાકાત દેખાડવી જ પડશે.