સંરક્ષણ મંત્રી આસિફ બોલ્યા : 30 વર્ષથી સમર્થન, તાલીમ મોટી ભૂલ
નવી દિલ્હી, તા. 25 : પહેલગામ
આતંકવાદી હુમલા બાદ આખી દુનિયાનું ધ્યાન ખેંચતી ટિપ્પણીમાં ખુદ પાકિસ્તાનના સંરક્ષણ
મંત્રી ખ્વાજા આસિફે એવું કબૂલ્યું છે કે, પાક છેલ્લાં 30 વર્ષથી આતંકવાદીઓનું સમર્થન
કરે છે.
આસિફે કહ્યું હતું કે, આતંકીઓ
અમેરિકા અને પશ્ચિમી દેશો માટે ગંદુ કામ કરે છે. આતંકવાદીઓને સાથ આપવો અને તાલીમ આપવી
એ બહુ જ મોટી ભૂલ હતી. તેવી વાત પણ તેમણે માની હતી. બ્રિટિશ અખબાર ‘ધ સ્કાઈ’ને શુક્રવારે
આપેલી મુલાકાતમાં પાક સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, જો અમે સોવિયેત સંઘ વિરુદ્ધ
યુદ્ધમાં સામેલ ન થયા હોત તો આજે પાકિસ્તાનની છબી બેદાગ હોત.
શું પાક આતંકવાદી સંગઠનોની ગતિવિધિઓ
માટે જવાબદાર છે, તેવો પ્રશ્ન બ્રિટિશ એંકર યલ્દા હકીમે ખ્વાજાને પૂછયો હતો. સંરક્ષણ
મંત્રીએ કહ્યું હતું કે, વૈશ્વિક શક્તિઓએ પોતાનાં હિતો માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો
છે. આતંકીઓ પોષવા મોટી ભૂલ હતી.
છીછરી માનસિક્તા બતાવતાં પાક
નેતાએ પોકળ આરોપ મૂક્યો હતો કે, પહેલગામ હુમલા માટે પાક નહીં, ભારત જ દોષી છે. પહેલગામ
હુમલા અંગે ખ્વાજાએ જણાવ્યું કે, ભારત-પાક વચ્ચે શરૂ થયેલો વિવાદ બંને દેશ વચ્ચે મોટા
યુદ્ધનું રૂપ લઈ શકે છે. જો કે, બંને દેશ સંવાદ દ્વારા ઉકેલ લાવશે તેવી આશા પણ આસિફે
દર્શાવી હતી.