રાહુલ ગાંધીએ સંભળાવ્યો કિસ્સો: પહેલા વિપશ્યના યોગથી કેળવાયેલી ક્ષમતાની વાત કરી અને પછી...
નવીદિલ્હી,તા.22: નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ અને સેનામાં ભર્તીની અગ્નિપથ યોજનાનાં વિરોધમાં કોંગ્રેસનો સત્યાગ્રહ આજે ત્રીજા દિવસે જંતર-મંતરથી પક્ષનાં વડામથકે પહોંચી ગયો હતો. જ્યાં બપોરે રાહુલ ગાંધીએ પક્ષનાં કાર્યકરો અને સમર્થકોનો આભાર માનતા કહ્યું હતું કે, પાંચ દિવસની પૂછપરછથી તેમને કોઈ જ ફર્ક પડયો નથી. તપાસ અધિકારીઓને પણ ખ્યાલ આવી ગયો છે કે, કોંગ્રેસ કે તેનાં નેતાઓને ડરાવી કે દબાવી શકાશે નહીં.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે, પૂછપરછ કરતાં અધિકારીઓ એ જાણવા માટે ઉત્સુક હતાં કે, પાંચ દિવસમાં પપ કલાક લાંબી પૂછપરછમાં ઉઠયા વિના પોતે કેવી રીતે બેઠાં રહી શકે છે? જેનાં જવાબમાં તેમણે ઈડીનાં અધિકારીઓને કહ્યું હતું કે, આની પાછળ પ્રતિદિન વિપશ્યના યોગની સાધના છે. આનાં હિસાબે જ તેમને લાંબો સમય સુધી બેસી રહેવાની આદત છે. આગળ રાહુલે કહ્યું હતું કે, જો કે આ આટલો લાંબો સમય બેસી રહેવાની ક્ષમતા માટે આ કારણ સાચુ નહોતું. અસલી કારણ એ હતું કે, પૂછપરછનાં ખંડમાં તેઓ એકલા નહોતાં. કોંગ્રેસનો પ્રત્યેક નેતા અને સમર્થક તેમની સાથે હતો. એક નેતા કદાચ થાકી શકે છે પણ એક પક્ષનાં હજારો કાર્યકરો થાકી શકે નહીં.
5 દિવસમાં 55 કલાકની પૂછપરછમાં કેવી રીતે સતત બેસી શક્યા રાહુલ?
