વિશ્વભરમાં પ્રદૂષણનું જોખમ દિવસો દિવસ વિકરાળ સ્વરૂપ લઇ રહ્યંy છે. ભારત પણ આ ભયજનક સ્થિતિનો સામનો કરી રહ્યો છે. હાલે દેશના મોટાભાગના વિસ્તારો ભારે ઠંડીની સાથોસાથ ધુમ્મસ અને પ્રદૂષણથી ઘેરાયેલા છે. તેમાં પણ રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોની હાલત ભારે ચિંતાજનક બની ગઇ છે. ધ લાન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત એક અધ્યયન મુજબ ભારતમાં ગયા વર્ષ દરમ્યાન 17 લાખ જેટલા લોકોના મોત પ્રદૂષણને લીધે થયા હતા. આ મોતની ચિંતાજનક સંખ્યા દેશમાં થયેલા કુલ મોતની 18 ટકા હતી. આટલી મોટી સંખ્યામાં પ્રદૂષણ દ્વારા ભોગ લેવાયાને લીધે દેશના કુલ્લ ઘરેલુ ઉત્પાદનમાં 1.4 ટકા જેટલું એટલે કે સીધેસીધું 2,60,000 કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે. આટલી મોટી ખુવારી અને આર્થિક નુક્સાની છતાં વહીવટીતંત્ર અને લોકો આ વિકરાળ બની ચૂકેલી સમસ્યા તરફ દુર્લક્ષ સેવી રહ્યા છે. હાલની મોસમમાં દિલ્હીમાં હવાની ગુણવત્તા 400 એક્યુઆઇથી વધુ નોંધાઇ છે જે લોકો માટે ભારે જોખમી છે. વળી દિલ્હીની સરખામણીએ ગાઝિયાબાદ, નોઇડા અને ગ્રેટર નોઇડા તથા ફરીદાબાદની હાલત વધુ ખરાબ છે. આનાથી ત્યાંની હવાની ગુણવત્તા ભલભલાને બીમાર પાડી દે તેવી થઇ ગઇ છે. દર વર્ષે શિયાળાની મોસમમાં પ્રદૂષણ ચરમસીમાએ પહોંચી જતું હોય છે પણ દર વર્ષે સામે આવતા ચોંકાવનારા આંકડા અને તેની સાથેની જોખમી સ્થિતિ તરફ ભાગ્યે જ કોઇ કાર્યવાહી થતી હોય છે. દરેક વ્યક્તિ પ્રદૂષણ રોકવાની કે ઘટાડવાની પોતાની જવાબદારીથી હાથ ખંખેરી લે છે. આમ તો ભારતમાં ઘરની અંદર અને બહાર બન્નેના પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક રહી છે. જો કે 1990થી 2019 વચ્ચેના સમયગાળા દરમ્યાન ઘરની અંદરના પ્રદૂષણમાં ઘટાડો થતાં તેને સંબંધિત મૃત્યુ દર પણ 64 ટકા જેટલો ઘટયો છે પણ ઘરની બહારના પ્રદૂષણમાં વધારો થતાં તેને લગતો મૃત્યુદર 11પ ટકા જેટલો વધી ગયો છે. દેશમાં ગરીબ પરિવારો સુધી ઘર વપરાશના રાંધણગેસની ઉપલબ્ધિ વધારાતા ઘરની અંદરના પ્રદૂષણમાં ઘટાડો થયો છે. એ પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારત અને મધ્યભારતમાં પ્રદૂષણનું પ્રમાણ વધુ રહે છે. ઉત્તર પ્રદેશમાં પ્રદૂષણે સકલ ઘરેલુ ઉત્પાદનમાં 2.2 ટકાનું અને બિહારમાં બે ટકાનું નુક્સાન કર્યું છે. આમ દેશને વર્ષે કરોડો રૂપિયાનું સીધું નુક્સાન પ્રદૂષણને લીધે થઇ રહ્યંy છે. આનો સીધો અર્થ એ થયો કે ભારતે વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટેનાં પગલાં અને માળખામાં રોકાણ વધારવાની ખાસ આવશ્યક્તા છે. ખાસ તો લોકોમાં જાગૃતિ વધારવા તથા પ્રદૂષણના કારણોમાં મોટો ભાગ ભજવતા ઉદ્યોગો, બાંધકામ ક્ષેત્ર, વાહન વ્યવહાર અને પંજાબમાં કૃષિ ક્ષેત્રે પરાળને આગ ચાંપવાના ચલણને રોકવા માટે સરકારે કમર કસવી રહી.
અમેરિકાના પ્રમુખપદેથી આખરે બેઆબરૂ થઇ ડોનાલ્ડ ટ્રમ્પે જવું પડી રહ્યું છે. અમેરિકાના અઢીસો વર્ષના ઇતિહાસમાં આવું કદી બન્યું નથી. 45મા રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ દ્વારા જે થયું એ અમેરિકા જ નહિ પણ લોકશાહી ચાહતા દરેક માટે આંચકાસમાન છે પણ એમણે સત્તા પર ટકી રહેવાના બધા પ્રપંચ કર્યા પણ એમના હાથ હેઠા પડયા છે અને એક જ કાર્યકાળમાં બેવાર
મહાભિયોગ ચાલે એવા પ્રમુખ તરીકે ટ્રમ્પનું નામ અમેરિકાના ઈતિહાસમાં લખાવા જઈ રહ્યું છે. ગયા બુધવારે અમેરિકી સંસદના નીચલા ગૃહમાં ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવ આવ્યો અને એ 197 વિરુદ્ધ 232 સાથે પસાર થયો. મહત્ત્વની વાત એ છે કે, રીપબ્લીકન પક્ષના દસ સાંસદોએ પણ પ્રસ્તાવની તરફેણ કરી છે અને હવે ઉપલા ગૃહમાં તા. 19નાં મતદાન થવાનું છે અને ત્યાં પણ ડેમોક્રેટસની બહુમતી થઇ ગઈ છે એટલે પ્રસ્તાવ જરૂર પસાર થશે. તા. 20નાં ટ્રમ્પની વિદાય છે એનો કાર્યકાળ પૂરો થાય છે એના આગલા દિવસે મહાભિયોગ પ્રસ્તાવ પસાર થાય એનો શો મતલબ? પણ ટ્રમ્પ દ્વારા અમેરિકા સાથે જે કરવામાં આવ્યું છે એ માફીને લાયક નથી. ભલે એ સાંકેતિક બની રહે પણ દાખલો બેસવો જોઈએ કે જે લોકશાહી સાથે અને પછી જે બન્યું એ છેડછાડ કરે એને સબક મળવો જોઈએ અને ટ્રમ્પ થાકી હાર્યા છે. એમણે બધા પ્રયત્નો કર્યા હતા પણ સંસદમાં ચૂંટણીના પરિણામોને મહોર મારવાની હતી એ ટાંકણે ટેકેદારોને ઉશ્કેર્યા અને પછી જે બન્યું એ અમેરિકાની લોકશાહી પર કલંકરૂપ હતું અને બન્યું એવું કે આખા જગતે ટ્રમ્પની ટીકા કરી. એમના ખાસ મિત્ર ગણાતા વડાપ્રધાન મોદીએ પણ આ ઘટનાને વખોડી. કોર્ટમાં પણ એ ગયા પણ ત્યાં ય હાથ હેઠા પડયા અને રીપબ્લીક્નના ગઢ ગણાય છે એ બે રાજ્યો એરિઝોના અને જ્યોર્જીયોમાં પણ એ હાર્યા અને બંને ગૃહોમાં ડેમોક્રેટની બહુમતી થઇ ગઈ. હા, એ ખરું કે, ટ્રમ્પને મત સારા મળ્યા છે. એમને 7.40 કરોડ મત મળ્યા અને બાઈડેનને ગઈ ચૂંટણીમાં હિલેરીને મળ્યા હતા એના કરતા ઓછા કુલ 8.10 કરોડ મત મળ્યા પણ ઈલેક્ટોરલ મત વધુ મળ્યા. હવે તો આશ્ચર્ય થાય છે કે ટ્રમ્પને આટલા બધા મત મળ્યા કેમ? ઓબામા શાસનમાં કેટલાક પ્રશ્નો ઉભા થયા અને લોકોને ટ્રમ્પમાં આશા જણાઈ. એમણે એમરિકા ફર્સ્ટની વાત કરી પણ કદાચ કોરોના માહામારીમાં ટ્રમ્પ શાસનની નિષ્ફળતા સૌથી વધુ એમને નુકસાનકારક બની. બીજું કે, ટ્રમ્પ પોતાને અમેરિકા કરતા ને બંધારણ કરતા ઉપર સમજવા લાગ્યા. ઓબામાએ કરેલા પેરીસ જળવાયુ સમજૂતીમાંથી પાછા હટી ગયા. ચૂંટણી હારી ગયા બાદ મતદાતાઓનો ચુકાદો વિવેકથી સ્વીકારવાને બદલે વિરોધ કર્યો. હવે જોવાનું એ છે કે, બાઈડેન શાસન ટ્રમ્પ સામે કેટલી સખ્તાઈથી વર્તે છે. મહાભિયોગથી એક સંદેશ પણ જશે કે, તમે ગમે તો હો, રાષ્ટ્રપતિ પણ કેમ નથી, તમે બંધારણથી ઉપર નથી. ટ્રમ્પ દ્વારા લક્ષ્મણ રેખા ઓળંગવામાં આવી છે અને એ માટે એમને જરૂરી બોધપાઠ મળવો જ જોઈએ.
© 2021 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer