અનુયાયી મહિલાને સેવાના બહાને આશ્રમમાં બોલાવ્યા બાદ દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
જામનગર, તા.27 (ફૂલછાબ ન્યુઝ) જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ઉદાસીન આશ્રમના 56 વર્ષના મહંત હરિદાસબાપુ છેલ્લા 33 વર્ષથી આશ્રમમાં રહીને સેવા પૂજા કરે છે. તેમની સામે અનુયાયી મહિલા દ્વારા દુષ્કર્મના પ્રયાસની ફરિયાદ થઇ છે.
મહંત હરિદાસની 4થી ફેબ્રુઆરીએ તબિયત બગડી હતી.જેથી સેવા પૂજા કરવા માટે જોડિયા તાલુકાના બાલંભા ગામની વતની અને પૂના પરણેલી પરિણીત મહિલા કે જે તેના પિયર આવી હતી. તેને સેવાના નામે બોલાવી હતી અને પોતાના હાથ-પગ દબાવવાનું જણાવ્યું હતું.
એકાએક મહંતની દાનત બગડી હતી અને પરિણીતા સાથે છેડછાડ શરૂ કરી દીધી હતી. પરિણીતાએ ઈન્કાર કર્યો હોવા છતાં તેની સાથે બળજબરી કરી હતી અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોટી ઉંમરના કારણે તેઓ સફળ થયા નહોતા. આમ છતાં પોતાના હાથ વડે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના પછી ભોગ બનનાર મહિલા ત્યાંથી ચાલી ગઈ હતી અને પોતાના પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પરંતુ આબરૂના બીકે મૌન ધારણ કર્યું હતું.
મહંતે આ અંગેની કોઈને જાણકારી આપશે તો પોતે તાંત્રિક વિધિ કરીને પરિવારને ખતમ કરી નાખશે તેવી ધમકી આપ્યે રાખી હતી. જેથી તેમના પરિવારજનો ચૂપ રહ્યા હતાં. જો કે બનાવને આટલો સમય વીતી ગયા પછી પરિવારજનોએ હિંમત દાખવીને અન્ય કોઈ વ્યક્તિ મહંતનો શિકાર બને નહીં તે માટે ગઈરાત્રે જોડિયા પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરતા આખરે જોડિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મહંતની અટકાયત કરી ભોગ બનનાર મહિલાને તબીબી ચકાસણી માટે જામનગરની હોસ્પિટલમાં મોકલી આપી છે.